ગાંધીનગર- વર્તમાન ન્યૂઝ.કોમ
ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે બુધવારે(1 એપ્રિલ, 2026) સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યની મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.
મનપા: 15 (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ)
જિલ્લા પંચાયત: 34
તાલુકા પંચાયત: 260 (17 નવી તાલુકા પંચાયત સહિત)
નગર પાલિકા: 84
મતદારો: 4 કરોડ 18 લાખ 91 હજાર 700
આચાર સંહિતા: આજથી અમલી
ચૂંટણી કાર્યક્રમ પર એક નજર
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ ચૂંટણીનું શિડ્યુલ પર નજર કરીએ તો..
ચૂંટણીનું જાહેરનામું: 6 એપ્રિલ, 2026
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026
ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026
ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ
મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026
મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ, 2026
નવી મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત યોજાશે ચૂંટણી
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જે 8 નવી નગરપાલિકાઓને 'મહાનગરપાલિકા'નો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, અને વાપી શહેરનો સમાવેશ થાય છે. આ નવગઠિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.
આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબિસી (OBC) અનામત બેઠકોનું નવું રોટેશન છે. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ અમલી બનેલી નવી જોગવાઈઓ મુજબ, આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. આ નવા જ્ઞાતિ સમીકરણો રાજકીય પક્ષો માટે નવી રણનીતિ ઘડવા મજબૂર કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સીમાંકન અને અનામતના પ્રશ્નોને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. હાલમાં આ સંસ્થાઓમાં વહીવટદારો કાર્યરત છે. હવે ચૂંટણીની જાહેરાત થતા જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ જશે અને લોકશાહી ઢબે નવા જનપ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ મોકળો થશે.
• Share •