વર્તમાન ન્યૂઝ.કોમ
પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદમાં તરલાઈ વિસ્તારમાં ઈમામ બારગાહ ખદિજત ઉલ કુબરામાં બોમ્બ બ્લાસ્ટ થતાં 31ના મોત થયા છે જ્યારે 169થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. મૃત્યુ આંક હજુ પણ વધવાની આશંકા છે. બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. સૂચના મળતા જ પોલીસ અને રેસ્ક્યૂની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બોમ્બ બ્લાસ્ટ બાદ શહેરની મોટી હોસ્પિટલોમાં ઈમરજન્સી લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઘટનાસ્થળની આસપાસનો વિસ્તાર કોર્ડન કરી તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાસ્થળ પર બોમ્બ પહેલેથી જ મૂકવામાં આવ્યો હતો કે પછી આ આત્મઘાતી હુમલો હતો તે અંગે તપાસ કરવામાં આવી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ શોક વ્યક્ત કરતાં કહ્યું છે કે નિર્દોષ નાગરિકો પર હુમલો કરવો એ માનવતા વિરુદ્ધ ગુનો છે. ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના, સારામાં સારી સારવાર આપવા આદેશ આપવામાં આવ્યા છે. પાકિસ્તાનના સંસદીય કાર્યમંત્રી તારિક ફઝલ ચૌધરીએ કહ્યું છે કે, ઈસ્લામાબાદમાં થયેલા બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકો માટે હું દુ:ખી છું. આવી આતંકવાદી ઘટનાઓ દેશનો મનોબળ તોડી નહીં શકે. આપણે સૌ શાંતિ જાળવીએ અને એક થઈને એજન્સીઓને સાથ-સહકાર આપીએ તેવી અપીલ. ત્રણ મહિના અગાઉ 11 નવેમ્બર, 2025ના રોજ પણ ઈસ્લામાબાદમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જિલ્લા અદાલતની બહાર થયેલા આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટમાં 12 લોકોના મોત થયા હતા. જ્યારે 30 ઈજાગ્રસ્ત થયા હતા.
• Share •