ગાંધીનગર- વર્તમાન ન્યૂઝ.કોમ
દહેગામ તાલુકામાં આવેલુ અને અંદેજે 600 લોકોની વસ્તી ધરાવતું જૂના પહાડિયા નામનું આખે આખું ગામ વેચાઈ ગયું છે. પહાડિયા સુજાના મુવાડા ગ્રૂપ ગ્રામ પંચાયતમાં આવતા જૂના પહાડિયા ગામને બારોબાર વેચી મરાયાનું કાવતરું થયું છે. સમગ્ર વાતની જાણ થતા ચકચાર મચી જવા પામી છે. જૂના પહાડિયા ગામના બ્લોક સર્વે નંબર 142 (જૂનો સર્વે નંબર 6) હે.આરે. ચોરસ મીટર 1-45-97 વાળી જમીન 1982, 1987 તથા 2003ના વર્ષમાં સ્ટેમ્પ પેપર તથા સાદા લખાણથી બાનાખત કરીને તેમજ 50ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી કરારથી હાલમાં વસવાટ કરતા અરજદારોએ વેચાણ રાખી હતી. આ સર્વે નંબર પર જ આખે આખું ગામ વસેલું છે જે જૂના પહાડિયા તરીકે ઓળખાય છે. ગામમાં રહેતા રહીશોની મિલકતની આકારણી પણ કરવામાં આવી છે. ગામમાં પાણીનો બોર પણ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો છે. તલાટી અને સરપંચ દ્વારા રહીશોને દાખલા પણ આપવામાં આવ્યા છે. મકાનોના વેરાઓ પણ ગ્રામજનો ભરી રહ્યાં છે. ગ્રામજનો હાલ તો સરકારી કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યાં છે, ગ્રામજનોનો આક્ષેપ છે કે, ખોટા ફોટા અને ખોટા આંકડા તેમજ નકશા દ્વારા અધિકારીઓની મિલીભગતથી આ દસ્તાવેજ થયો છે. આ દસ્તાવેજ ખોટો હોવાથી રદ કરવાની પણ ગ્રામજનો માગ કરી રહ્યાં છે. સમગ્ર મામલો બહાર આવતા ગ્રામજનો મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી ન્યાયની માગ કરી છે. ગ્રામજનોએ વાંધા અરજી રજૂ કરીને ગ્રામજનો ઘર વિહોણા ના બને તે માટે રેકોર્ડમાં પહેલી વેચાણ નોંધને ડિસ્પુટમાં દાખલ કરીને તાત્કાલિક ન્યાય અપાવવા પણ માંગ કરાઈ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે, આ ગ્રામજનોને ન્યાય મળશે કે પછી વર્ષોથી રહેતા પોતાના બાપ-દાદાની જમીન પરથી ઉચાળા ભરવાનો વારો આવશે. આ મામલાની જ્યારથી જાણ થઈ કે ત્યારથી ગ્રામજનો દોડતા થયા છે. મામલતદારને આવેદનપત્ર આપીને તપાસની માગ કરાઈ છે. ગામની મહિલાઓ તંત્ર સામે ન્યાય માટે ગુહાર લગાવી રહી છે. જે સર્વે નંબરની વેચાણ નોંધ પડી છે તેની સામે પ્રાંત અધિકારી કચેરીમાં વાંધા અરજી પણ રજૂ કરવામાં આવી છે.
• Share •