Page Views: 7039

સરસાણા ખાતે ‘Petroleum Retail Evolution Seizing Business Opportunities’ વિશે કોન્કલેવ યોજાઇ

ભારત એશિયામાં બીજા નંબરોનો સૌથી મોટો પેટ્રોલ રિફાઈનરીંગ કરતો દેશ- ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

સુરત. વર્તમાન ન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સુરત અને તાપી ડિસ્ટ્રીકટ પેટ્રોલિયમ ડીલર્સ એસોસીએશન તથા સીએનજી ફ્રેન્ચાઇઝી એસોસીએશનના સંયુકત ઉપક્રમે શનિવાર, તા. રપ મે, ર૦ર૪ના રોજ સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે ‘Petroleum Retail Evolution Seizing Business Opportunities’ વિષય ઉપર કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કોન્કલેવમાં વડોદરાના શ્રી પાર્થ પેટ્રોકેમના ચેરમેન શ્રી સંદીપ પાટીલ, મેટ્રીક્ષ ગેસ એન્ડ રિન્યુએબલ્સના સીઇઓ શ્રી ચિરાગ કોટેચા, જીઓન એન્જીનિયર્સ પ્રા.લિ.ના ડાયરેકટર શ્રી રાજુ ગુપ્તા, અદાણી ટોટલ ગેસ લિમિટેડના બિઝનેસ સ્ટ્રેટેજીના AVP શ્રી નરેશ સિસોદિયા અને સ્ટેટિક (શરીફી સર્વિસિસ પ્રા.લિ.)ના AVP શ્રી અક્ષય આહુજાએ સુરતના ઉદ્યોગકારોને પેટ્રોલિયમ સેકટરમાં બિઝનેસની તકો વિશે માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ કોન્કલેવમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારત એશિયામાં બીજા નંબરોનો સૌથી મોટો પેટ્રોલ રિફાઈનરીંગ કરતો દેશ છે, જેમાં રપ૬ મિલિયન મેટ્રીક ટન જેટલું વાર્ષિક ઉત્પાદન થાય છે. ભારત વિશ્વમાં ત્રીજા નંબરનું સૌથી મોટું ઊર્જા અને તેલનું કન્ઝયુમર છે તથા ભારત વિશ્વમાં ચોથા નંબરનું LNG ઈમ્પોર્ટર છે. ગત વર્ષે ભારત દ્વારા ર૩ર.પ મિલિયન મેટ્રીક ટન ક્રૂડ ઓઈલની આયાત થઈ હતી, જેની કિંમત ૧૩ર બિલીયન ડોલર જેટલી થાય છે. ભારત ક્રૂડ ઓઈલ ક્ષેત્રે પોતાની જરૂરિયાતનું ૮૭.૭ જેટલું આયાત ઉપર નિર્ભર છે.

ગુજરાત પેટ્રોલિયમ પ્રોડકટસના એક્ષ્પોર્ટમાં ભારતમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે અને જામનગર ખાતે આવેલી રિલાયન્સ રિફાઈનરી વિશ્વમાં સૌથી મોટી સિંગલ સાઈડ ઓઈલ રિફાઈનરી છે. ભારતમાં પીએનજી અને સીએનજીની સાથે–સાથે બાયો–સીએનજીની પણ પોલિસી બનાવવામાં આવી છે. આ પોલિસી થકી ભારતના ગામડાઓમાં પણ રૂરલ ઈકોનોમીનો વિકાસ થશે. સાથે–સાથે ક્રૂડ ઈમ્પોર્ટ બિલમાં પણ ઘટાડો આવશે.

Ministry of New & Renewable Energy (MNRE) દ્વારા મૂકેલ અંદાજ મુજબ, ભારતમાં બાયો–સીએનજીના ઉત્પાદનની ક્ષમતા વાર્ષિક ધોરણે ૬ર મિલિયન મેટ્રીક ટન જેટલી છે. પરંતુ ઈન્ફ્રાસ્ટ્રકચર અને ટેકનિકલના અભાવના કારણે તેનો સંપૂર્ણપણે ઉપયોગ થતો નથી. દેશમાં બાયો–સીએનજીના ક્ષેત્રે વધુ પ્રયાસો કરવાની જરૂર છે.

ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, જેમ જેમ ભારતની વૃદ્ધિની બાબતો સામે આવી રહી છે તેમ તેમ ESG સિદ્ધાંતોને એકીકૃત કરવાનું હવે વૈકલ્પિક નથી પણ અનિવાર્ય બનશે. પેટ્રોલિયમ ક્ષેત્રની સાથે સંકળાયેલા વ્યવસાયોને પણ હવે ESGને અપનાવી સસ્ટેનેબલ ફયુચર માટે ફાળો આપવો પડશે. ઝડપથી વિકસતા બજારમાં ESG વ્યવસાયો માટે તેમની લાંબા ગાળાની સફળતા પણ સુનિશ્ચિત કરશે.વડોદરાના શ્રી પાર્થ પેટ્રોકેમના ચેરમેન શ્રી સંદીપ પાટીલે જણાવ્યું હતું કે, ‘બાયો–ઈથેનોલ એક પ્રોસેસ છે. જેમાં સુગર ઓઈલને સ્ટાર્ચમાં રૂપાંતર કર્યા પછી તેને ઈથેનોલમાં રૂપાંતર કરાય છે. બાયો–ઈથેનોલ ચોખાની ભૂખી, શેરડી, મોલાસિસ, શેરડીના રસ જેવા રો–મટિરીયલમાંથી બને છે, જે સામાન્ય રીતે ખેડૂત પાસે ઉપલબ્ધ હોય જ છે. ભારત સરકારે આ પ્રોડકટને પ્રોત્સાહન અન્નદાતાને ઊર્જાદાતા બનાવવા માટે કર્યો છે, જેથી ભારતની અર્થવ્યવસ્થાને ગતિ મળે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘કાર્બન એમિશનને ઓછા કરવાના હેતુથી બાયો–ઈથેનોલનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં જ ઈથેનોલનું ઉત્પાદન થતાં ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતાનું પ્રમાણ ઓછું થશે. તેમણે ઈથેનોલ અને બાયો–ડીઝલ કેવી રીતે બને તે છે? તે અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે, બાયો–ઈથેનોલ બનાવ્યા પછી તેના વેચાણમાં રૂપિયા પથી ૭નું માર્જિન મળે છે.’

મેટ્રીક્ષ ગેસ એન્ડ રિન્યુએબલ્સના સીઈઓ શ્રી ચિરાગ કોટેચા જણાવ્યું હતું કે, ‘ગ્રીન–હાયડ્રોજન વિશ્વમાં સૌથી ઝડપી આગળ વધતું સેકટર છે. ગ્રીન–હાયડ્રોજન માટે ત્રણ બાબતો જરૂરી હોય છે. તેમાં પહેલી માર્કેટની માહિતી, બીજું એનર્જી ઈન્ફ્રાસ્ટ્રકચર અને ત્રીજું એનાલિસીસનો સમાવેશ થાય છે. સોલાર પાવર જનરેટ થયા પછી ઈલેકટ્રોરાઈઝરમાં પાણી અને સોલાર પાવરને ઈનપુટ આપવામાં આવે છે અને આઉટપુટમાં હાયડ્રોજન અને ઓકિસજનનું વિઘટન થઈ તેને કેપ્ચર કરી સ્ટોરેજથી અલગ–અલગ જગ્યાઓ પર ઉપયોગ કરી શકાય છે. ગ્રીન–હાયડ્રોજન લાંબા અંતરના પ્રવાસ માટે પણ ઉપયોગી છે.’

જીઓન એન્જીનિયર્સ પ્રા.લિ.ના ડાયરેકટર શ્રી રાજુ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘એગ્રીકલ્ચર, ઉત્પાદનો અને ફૂડ પ્રોસેસિંગમાં બાયો–વેસ્ટનું પ્રમાણ ખૂબ જ વધારે નીકળે છે. ખેતીમાંથી નીકળતાં વેસ્ટમાંથી બાયો–ગેસ બનાવીને તેનો ઉપયોગ કરી શકાય છે. બાયો–સીએનજીથી વ્હીકલ ચાલે છે, તેના ઉપર નાગરિકોને વિશ્વાસ નથી થતો. બાયો–સીએનજીનું ઉત્પાદન કર્યા બાદ સરકાર તેનું યોગ્ય વેચાણ કરે છે. બાયો–સીએનજીનું માર્કેટ ખૂબ જ મોટું છે. ખેતીનો વિસ્તાર જોતા માત્ર ગુજરાતમાં ર થી ૩ હજાર પ્લાન્ટ શરૂ કરી શકાશે.’

તેમણે બાયો–ગેસ વિશે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘બાયો–ગેસમાં હાયડ્રોજન, મિથેન, કાર્બનડાયોકસાઈડ, પાણીનો ઉપયોગ થાય છે. નેપીયર ગ્રાસનો ઉપયોગ બાયો–ગેસના ઉત્પાદનમાં થાય છે. નેપીયર ગ્રાસનું ઉત્પાદન પણ સારું હોય છે અને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. બાયો–ગેસ બનાવવું એક બાયોલોજિકલ પ્રોસેસ છે.’

અદાણી ટોટલ ગેસ લિમિટેડના બિઝનેસ સ્ટ્રેટેજીના AVP શ્રી નરેશ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં ૮૦૦ મિલીયન ટન ઊર્જાની ખપત છે. તેમાં સૌથી વધુ પ૦ ટકા કોલસો અને પ૦ ટકા ઓઈલ અને ગેસનો ઉપયોગ થાય છે. આગામી દસ વર્ષમાં ઊર્જાની ખપત બે ગણી થશે. દેશમાં હાલમાં જેટલું કાર્બન નિર્માણ થાય છે, તેમાં વર્ષ ર૦૩૦ સુધીમાં ૪પ ટકા ઘટાડો લાવવાનો છે. દેશની ઊર્જા પરની નિર્ભરતા કોલસા અને ક્રૂડ ઓઈલ પરથી દૂર કરવાની છે. એલ એન્ડ જી માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્‌ચર ભારતમાં ડેવલપ થઈ રહ્યું છે. એલ એન્ડ જીનો ઉપયોગ ઓછો ખર્ચાળ હોય છે.’

સ્ટેટિક (શરીફી સર્વિસિસ પ્રા.લિ.)ના એવીપી શ્રી અક્ષય અહુજાએ ફ્‌યુલ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે તે અંગે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘બે–ત્રણ વર્ષમાં ઈલેકટ્રીકલ વ્હીકલ ક્ષેત્રે એક નવી વ્હીકલ બજારમાં ઉપલબ્ધ છે. ઈલેકટ્રીકલ ચાર્જર્સ સ્ટેશન કઈ જગ્યા પર અને કેવી રીતે ઈન્સ્ટોલ કરી શકાય તેમજ તેની માહિતી કેવી રીતે મેળવવી તે અંગેની તેમણે માહિતી આપી હતી. તેમણે કોમર્શિયલ ટેરિફ અને ઈવી ટેરિફ અંગે વિસ્તૃત સમજ આપી હતી.’

ચેમ્બર ઓફ કોમર્સના ગૃપ ચેરમેન શ્રી ભદ્રેશ શાહે કોન્કલેવમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ કમિટીના ચેરમેન શ્રી નિરજ મોદીએ કોન્કલેવ વિશે માહિતી આપી હતી. ચેમ્બરની મેનેજિંગ કમિટી સભ્ય શ્રી તપન જરીવાલાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સુરત અને તાપી ડિસ્ટ્રીકટ પેટ્રોલિયમ ડીલર્સ એસોસીએશનના જોઇન્ટ સેક્રેટરી શ્રી અનિલ દેસાઇ અને માનદ્‌ મંત્રી શ્રી ભુપેન્દ્ર તમાકુવાલા તથા સીએનજી ફ્રેન્ચાઇઝી એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દીપક ગાંધીએ વકતાઓનો પરિચય આપ્યો હતો. પાંચેય વકતાઓએ ઉદ્યોગકારોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કોન્કલેવનું સમાપન થયું હતું.