૨૬મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિમાન દૂર્ઘટનામાં શહીદ થયેલા CDS જનરલ બિપિન રાવત અને ભાજપના દિવંગત નેતા કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવશે. તો ગુજરાતના સ્વામિ સચ્ચિદાનંદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે.
કેન્દ્ર સરકારે વિભિન્ન ક્ષેત્રમાં ઉલ્લેખનિય કાર્ય માટે 128 લોકોને સન્માનિત કરવાની જાહેરાત કરી છે. જેમાં 4 લોકોને પદ્મવિભૂષણ, 17 લોકને પદ્મભૂષણ અને 107 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. જયારે ગુજરાતના ૬ જેટલા મહાનુભાવોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં મેડીસીન ક્ષેત્ર માટે ડૉ. લતા દેસાઈ, પબ્લિક અફેયર્સ માટે માલજીભાઈ દેસાઈ, સાહિત્ય અને શિક્ષણ માટે ખલીલ ધનતેજવી, સામાજિક કાર્ય માટે સવજીભાઈ ધોળકિયા અને રમીલાબેન ગામીત, તેમજ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ માટે જયંતકુમાર મગનલાલ વ્યાસનો સમાવેશ કરાયો છે.
• Share •