Page Views: 7555

બ્રેઈનડેડ દેવચંદભાઈના પરિવારે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિને નવજીવન આપ્યુ

સુરતની અંગદાન માટે સેવા કરતી ડોનેટ લાઇફ સંસ્થાના માધ્યમથી શક્ય બન્યું અંગદાન

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરતી સ્ટ્રીટ, ભાઠાગામ, સુરત ખાતે રહેતા અને ડાયનેસ્ટીક ફેબ્રીકો નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા દેવચંદભાઈ જયરામભાઇ રાણા ગુરુવાર, તા. ૨૧ ઓક્ટોબરના રોજ ૧૧:૩૦ મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા ત્યારે શ્યામ સંગીની માર્કેટ પાસે, પુણા કુંભારિયા ખાડી પુલ ઉપર મોટરસાયકલ સ્લીપ થઇ જતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી. તેમને તાત્કાલિક મહાવીર ટ્રોમા હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.હિતેશ ચિત્રોડાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

રવિવાર, તા.૨૪ ઓક્ટોબરના રોજ મહાવીર ટ્રોમા હોસ્પિટલના ડોક્ટરોએ દેવચંદભાઈને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી દેવચંદભાઈના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

ભાઠા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા દેવચંદભાઈના પત્ની પ્રવિણાબેને જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રો અને ન્યુઝ ચેનલોમાં અંગદાન અંગેના સમાચારો જોતા હોઈએ છીએ. આજે જયારે મારા પતિ બ્રેઈનડેડ છે, અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. દેવચંદભાઈનો પુત્ર નિલય IILC ઇન્સ્ટીટયુટમાં BACT માં, પુત્રી રીશા નવયુગ કોલેજમાં T.Y B.COM માં અભ્યાસ કરે છે.

SOTTO દ્વારા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને જયારે બંને કિડની અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ને ફાળવવામાં આવી. 

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અમદાવાદના રહેવાસી ૫૪ વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. જયારે બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી તેનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું નહોતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું.

કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરતથી અમદાવાદ સુધીના ૨૬૭ કિ.મીનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોવીડ ૧૯ ની મહામારીની પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમ્યાન ૪૮ કિડની, ૨૭ લિવર, ૧૦ હૃદય, ૧૬ ફેફસાં, ૧ પેન્ક્રીઆસ અને ૪૬ ચક્ષુઓ સહીત કુલ ૧૪૮ અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના અને વિદેશના કુલ ૧૩૭ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજના સલામ છે…વંદન છે… સ્વ. દેવચંદભાઈ અને તેમના પત્ની પ્રવિણાબેન, પુત્ર નિલય, પુત્રી રિશા અને સમગ્ર પરિવારજનોને તેમના આ નિર્ણય બદલ.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૦૮ કિડની, ૧૭૨ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૬ હૃદય, ૨૦ ફેફસાં અને ૩૧૦ ચક્ષુઓ કુલ ૯૫૪ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૭૩ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં દેવચંદભાઈના પત્ની પ્રવિણાબેન, પુત્ર નિલય, પુત્રી રીશા, સાળા જીતેન્દ્રભાઈ અને દેવેન્દ્રભાઈ, ભાઈ જયેશભાઈ, અજીતભાઈ, રાજેશભાઈ, કાકા સસરા નવીનભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.હિતેશ ચિત્રોડા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. હાર્દિક પટેલ અને ડૉ. આલોક શાહ, મેડિકલ ઓફિસર ડૉ.અજયરાજસિંહ ગોહિલ, ડૉ.વિનોદ કંથારિયા, મહાવીર ટ્રોમાં હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રીશ્રી રાકેશ જૈન, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી અને પ્રશાંત પાટીલનો સહકાર સાંપડ્યો હતો.