Page Views: 7756

શું ખરેખર વ્યોમ અને ધરાનું મિલન ક્ષિતિજમાં થશે

વ્યોમને કોરોના હોવાની વાત સાંભળતા જ ધરા ધ્રુજી ઉઠી અને...

વર્તમાનન્યૂઝ.કોમ- નીતા જાટકિયા દ્વારા-સંકલન નૂતન તુષાર કોઠારી

 ધરા સૂટકેસ લઈને ભારે હૈયે 'ક્ષિતિજ' - એનાં ઘરની બહાર નીકળવા જ ગયો ત્યાં ઘરનો ફોન રણકી ઉઠ્યો.. ધરાએ ફોન ઉપાડતાં કોઈ અજાણ્યો અવાજ બોલી ઉઠ્યો, "મિ. વ્યોમનાં ઘરેથી બોલો છો?જવાબની રાહ જોયા વગર જ અવાજ આવ્યો તાત્કાલિક સિટીલાઈટ રોડ પર આવેલ "સંકલ્પ"- મારાં દવાખાને પહોંચો..

   ધરાનું મન શંકા-કુશંકાથી ઘેરાઈ ઉઠ્યું.. બેગ મુકી રીક્ષા પકડી દવાખાને પહોંચી. ત્યાં ડો. વ્યોમની તપાસ કરી રહ્યાં હતાં. ધરા બેબાકળા સ્વરે બોલી "શું થયું વ્યોમને?" વ્યોમ બેભાન અવસ્થામાં હતો..ધરાનું મન શંકાકુશંકાથી ઘેરાઈ ઉઠ્યું. તેણે કંપિત સ્વરે ડો. ને પુછ્યું.

   ડો. ધરાને બહાર બોલાવી કહ્યું "વ્યોમને કોરોનાના પ્રાથમિક લક્ષણો છે.. તે હાઈ વે પર બેભાન અવસ્થામાં હતો.. હું એને લઈને આવ્યો ને તમને સમાચાર આપ્યા. હવે વ્યોમને કોરોના હોસ્પિટલમાં મોકલવા માટે તમે સંમતિ આપો એટલે હું એમ્બ્યુલન્સ બોલાવું." નાઆઆઆ, વ્યોમને હોસ્પિટલ નથી મોકલવો, હું આયુર્વેદિકની ડો. છું, મારાં પિતા પણ વૈદ હતાં, એટલે વ્યોમની સારવાર હું જ કરીશ અને એ પણ મારાં ઘરે જ."

   "પણ બહેન, તમને એની અસર થઈ જશે. તમારું જીવન પણ..." ડો. ના શબ્દ પુરાં થાય એ પહેલાં જ ડો. ની પરવાનગી લઈને તેમની ગાડીમાં વ્યોમને લઈને ઘરે આવી. તાત્કાલિક, એનાં રૂમમાં સુવાડી, જરૂરી સારવારના પગલાં પોતે લીધા અને વ્યોમ પાસે ગઈ. ગરમ પાણીના પોતા મૂક્યાં. થોડી આયુર્વેદિક દવાઓ આપી. રૂમની બહાર તુલસીનું કુંડુ મૂક્યું, જેથી વ્યોમને, સ્વચ્છ હવા અને ઓક્સિજન મળતું રહે. આસપાસનું વાતાવરણ સકારાત્મક રહે એવું કરી દીધું.. મંદિરમાં દીવો પ્રગટાવી ધીમાં અવાજે ભજન ચાલું કરી દીધાં.

 આખી રાત ધરા વ્યોમની પટ્ટી બદલતી રહી. સવારે વ્યોમને ભાન આવ્યું. તે સફાળો ઉઠી ધરા સામે જોઈ રહયો પણ કંઈ બોલ્યો નહીં. કદાચ શું બોલું? એની અવઢવમાં હતો.

ધરાની સતત 10 દિવસની સારવાર અને પ્રેમથી વ્યોમ એકદમ સાજો થઈ ગયો.

   એની આંખમાં પાણી આવી ગયાં. બોલ્યો, "ધરા, લગ્નના 4 વર્ષ થયાં પણ મેં તને પત્નીનો દરજ્જો આપ્યો નથી, હું તને ગામડાની હોવાથી પસંદ ન'તો કરતો અને શહેરની ઝાકઝમાળમાં ડૂબી રહયો. મારા માતાપિતા સતત મને સમજાવતાં રહેતાં,

'તારા પ્રત્યેની મારી ફરજ છે' એવું કહેતાં પણ હું યુવાનીના ઉન્માદમાં કંઈ સમજ્યો જ નહીં.એમાં મેં મારાં માતા પિતાને ગુમાવ્યાં."

    "હું તારી માફી માંગુ છું. મેં તને ક્યારેય સુખ ન આપ્યું કે ક્યારેય તને સારા શબ્દે બોલાવી પણ નથી પણ તેં મને મોતના મોઢામાંથી બહાર કાઢ્યો. મારી પાસે શબ્દો નથી" એમ કહેતા રડી પડ્યો..

  ત્યારે ધરા એટલું જ બોલી "જે નિયતિએ લખ્યું હશે તે થઈ ગયું પણ મને વિશ્વાસ હતો જ કે વ્યોમ અને ધરાનું મિલન ક્ષિતિજમાં થશે જ.