સુરત-વર્તમાનન્યૂઝ.કોમ
ફરિયાદી પાસે હીરા વેચાણના બિલો નથી, જો ગેરકાયદેસર હીરા વેચાણનો વ્યવહાર હોય તો તે ગેરકાયદેસર છે. એમ ટાંકીને લાખો રૂપિયાના હીરા ખરીદ-વેચાણ કેસમાં કોર્ટે આરોપીને આરોપ મુક્ત કર્યો છે. બિલ વગર માત્ર એક વિશ્વાસ ઉપર હીરાનો ધંધો કરતા વેપારીઓ માટે આ કેસ આંખ ઉઘાડનારો છે.
આ કેસની વિગત એવી છે કે વર્ષ ૨૦૧૪ માં ફરિયાદી રાયચંદભાઈ પટેલે તન્મય ક્રિએશનના પોપ્રાઇટર પરેશ સાવલિયાને રૂપિયા 38 લાખ ઉપરાંતનો હીરાનો તૈયાર માલ આપ્યો હતો. જેના ચુકવણા પેટે ફરિયાદીએ ચેક લીધા હતા. જે ચેકો રિટર્ન થતા ફરિયાદીએ સુરતની કોર્ટમાં ત્રણ કેસ કર્યા હતા. જેમાં બચાવ પક્ષે એડવોકેટ અશ્વિન જોગડિયા અને હિતેશ ગાબાણી હાજર રહયા હતા.
આ કેસમાં બચાવ પક્ષે વકીલ અશ્વિન જોગડિયાએ ફરિયાદીની ઊલટતપાસ કરી દલીલ રજૂ કરી હતી કે, આરોપી પરેશ સાવલિયા તન્મય ક્રિએશનના પોપ્રાઇટર હોવાનો કોઈ પુરાવો રેકોર્ડ પર નથી. આરોપીને હીરા આપ્યા હોવાના કોઈ બિલ કે પુરાવા તથા હીરા વેચાણ માટે જરૂરી કેપિસી સર્ટિ કે હીરાની માલિકી દર્શાવતો કોઈ પુરાવો રેકોર્ડ પર નથી. જેથી આવા હીરાને બ્લડ ડાયમંડ કહેવાય. ઉપરાંત ફરિયાદી પોતે ડાયમંડનું કામ કરતા હોવાનો પણ કોઈ પુરાવો રજૂ કર્યા નથી.
બંને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે ટાંક્યું હતું કે ફરિયાદીએ બચાવ પક્ષની ઊલટતપાસમાં એ વાત કબૂલ રાખી છે કે આરોપીએ હીરા લીધા હોય તે અંગે ચેકો સિવાય બીજો કોઈ લેખિત પુરાવો મારી પાસે નથી. જો કોઈ વ્યક્તિ અનાજ કરિયાણાનો વેપાર કરે અને જણાવે કે બિલ, ડિલિવરી પુરવાર કરવા જરૂરી નથી તો એક તબક્કે માની પણ લઈએ. પરંતુ હીરા વેચાણ કોઈ સામાન્ય વેપાર નથી કે કોઈ સામન્ય માલ સામાન નથી. જેથી જો ગેરકાયદેસર હીરા વેચાણનો વ્યવહાર હોય તો તે ગેરકાયદેસર છે, એમ નોંધી ને કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો.
• Share •