વર્તમાનન્યૂઝ.કોમ-નરેશ કાપડીઆ દ્વારા
નર્મદ સાહિત્ય સભા દ્વારા પ્રસિદ્ધ શાયર ખલીલ ધનતેજવીની યાદમાં તેમની પંક્તિઓ પર તરહી મુશાયરાનું ઓનલાઈન આયોજન થયું હતું. સભા અધ્યક્ષ બકુલેશદેસાઈએખલીલભાઈના વિપુલ પ્રદાનનેબીરદાવ્યું હતું. મુશાયરાનું સંચાલન કરતાં યામિની વ્યાસે કવિની ઘણી જાણીતી પંક્તિઓ દોહરાવી હતી જયારેખલીલધનતેજવી સાથે અનેક મુશાયરાઓમાં સાથી રહેલાં કવિ મિત્રો કિરણસિંહચૌહાણ, ગૌરાંગ ઠાકર અને પ્રજ્ઞા વશીએ ખલીલભાઈ સાથેના પોતાના સંભારણા વાગોળ્યા હતા.
ખલીલ ધનતેજવીનીઆ પંક્તિઓ પર કવિઓએ તરહી ગઝલ રજુ કરીને તેમને ભાવાંજલિ આપી હતી. ‘ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે’, ‘મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી’, ‘મૌનનીમસ્તીથીરંજાડું તને’, ‘હું મરણ બાદ ઓળખાયો છું’, અને ‘આ તો હ્રદયની વાત છે હાંફી જવાય છે’. સમગ્ર મુશાયરા દરમિયાન ખલીલ ધનતેજવીની યાદો, શાયરી અને પંક્તિઓ પર આધારિત ગઝલોથી જાણે ખલીલત્વ ખિલી ઉઠ્યું હતું.
આ મુશાયરામાં રજુ થયેલી કેટલીક યાદગાર પંક્તિઓ આ મુજબ હતી:
શ્વાસ લેતો'તો ત્યાં લગી ધુમ્મસ,
હું મરણ બાદ ઓળખાયો છું !
- બકુલેશ દેસાઈ
તમે ભીંજાવ ગમ્મે એટલું ભીંજાવ કંઈ નહીં થાય,
અમુકને શરદી જેવું થાય છે કેવળ પલળવાથી.
- કિરણસિંહચૌહાણ
હોત જો પૂર તો બચી પણ જાત;
કોઈનાં આંસુમાં તણાયો છું.
- ગૌરાંગ ઠાકર
હે કાળ! તારાં કોપથી, કંપી જવાય છે
હિંમત કહે કે બસ હવે , તૂટી જવાય છે.
- પ્રજ્ઞા વશી
અચાનક પંક્તિ સ્ફુરે શાંત મનમાં તો થતું જાણે
સગર્ભા થાય છે ખુશ પેટમાં બાળક ફરકવાથી.
- યામિની વ્યાસ
એ મથ્યા નામ મારું ભૂંસવા પણ-
શું કરે? હૈય્યામાંલખાયો છું.
- પ્રમોદ આહિરે
સપનું જો સાચું લાગે તો ઝબકી જવાય છે
સપનાને સપનું જાણો તો જાગી જવાય છે
- પંકજ વખારિયા ‘પ્રેમકમલ’
એને મેં જિંદગી કરી અર્પણ,
જેના માટે હવે પરાયો છું!
- હેમંત મદ્રાસી
નામનાની તને ઉતાવળ છે?
હું મરણ બાદ ઓળખાયો છું.
- પ્રશાંત સોમાણી
ફૂલો નાજુક છે એથી, નાજુકાઈથી હૃદય તોડ્યું,
અને સંભાળીને ફરતો'તો, હું નિર્દોષ કાંટાથી.
- મિત્ર રાઠોડ
ઝાકળોના બુંદમાં છે તું વસી,
પાંપણોથી ચાલ ઉપાડું તને.
- દિલીપઘાસવાલા
કોઈ 'દી બાકી રહે નહિ કોઈ ઈચ્છા આપની,
બસ હવે મુકામ એવો એક 'દી તમને મળે.
- ગિરીશ પોપટ
કોઈ 'દી બાકી રહે નહિ કોઈ ઈચ્છા આપની,
બસ હવે મુકામ એવો એક 'દી તમને મળે.
- મયુરકોલડિયા
• Share •