અમદાવાદ-વર્તમાનન્યૂઝ.કોમ
રાજ્યમાં કોરોનાના દર્દીઓના સગારઓ રેમડેસિવિર ઇન્જેકશન મેળવવા માટે રીતસર ફાંફા મારી રહ્યા છે ત્યારે થોડા દિવસો પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે સુરતમાં રેમડેસિવિર ઇંજેક્શનનું ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતેથી મફતમાં વિતરણ કર્યુ હતું. ત્યારબાદ તેમની સામે અનેક સવાલો ઉભા થયા હતા. લોકોએ સવાલ પુછ્યા હતા કે સામાન્ય માણસોને ક્યાંય આ ઇન્જેક્શન નથી મળતું, ત્યારે પાટિલને 5000 ઇન્જેક્શન ક્યાંથી મળી ગયા? આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું હતું. જેના પગલે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમજ આ મામલે સી આર પાટીલ સહિતના તમામ પાસે જવાબ માંગવામાં આવે એવી પણ માંગણી કરી હતી.
આ અરજી અંગે આજે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકાર, સીઆર પાટિલ અને રાજ્યના ડ્રગ કમિશ્નરને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે એકબાજુ રાજ્ય સરકાર પાસે જ્યારે રેમડેસિવિરનો જથ્થો ના હોય, તેવી સ્થિતિમાં પાટિલને આટલી મોટી સંખ્યામાં રાતોરાત ઇન્જેક્શન ક્યાંથી મળ્યા તે સવાલ ઉઠ્યો હતો. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને આ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમની પાસે પણ આનો કોઇ જવાબ નહોતો. મુખ્યમંત્રીએ તો સીધું એવુ જ કહી દીધું હતું કે, ઇન્જેકશનનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે તમે સી આર પાટીલને જ પુછો. આ મામલે ભાજપમાં પણ આંતરિક વિવાદ થયો હતો.
• Share •