Page Views: 5667

દેશના મુખ્ય શહેરોમાં પહોંચ્યો કોરોનાનો જથ્થો- 16 જાન્યુઆરીથી વેક્સિનેસન હાથ ધરાશે

પ્રારંભિક તબક્કામાં ત્રણ કરોડ જેટલા કોરોના વોરિયર્સને વેક્સિન અપાશે

નવી દિલ્હી-13-1-2021

દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનનું કામ શરૂ થશે. શરૂઆતમાં 3 કરોડ કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે, જેનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડશે. ત્યાર પછી 27 કરોડ લોકોમાં તેમનો નંબર આવશે, જેમની ઉંમર 50 વર્ષથી વધારે અથવા તેમને કોઈ ગંભીર બીમારી હશે. હાલ કોરોના વેક્સિનનો જથ્થો 14 શહેરમાં પહોંચી ગયો છે. દેશમાં પહેલા જથ્થાના વેક્સિનેશન માટે મંગળવારે 54 લાખ 72 હજાર વેક્સિન ડોઝની સપ્લાઇ થઈ ગઈ છે. પુણેથી દેશનાં 13 શહેરમાં વેક્સિન ડોઝ પહોંચાડી દેવામાં આવ્યો છે. એને આગળ પણ લઈ જવામાં આવશે. સપ્લાઇ આજે પણ ચાલુ છે. કેન્દ્ર સરકારે સીરમ ઈન્સ્ટિટ્યૂટને 1 કરોડ 10 લાખ અને ભારત બાયોટેકને 55 લાખ વેક્સિન ડોઝનો પ્રાથમિક ઓર્ડર આપી દીધો છે. ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો જથ્થો આજે દિલ્હી પહોંચી ગયો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI559થી કોવેક્સિનનો પહેલો જથ્થો આજે સવારે હૈદરાબાદથી રવાના થયો હતો. આ સિવાય વિસ્તારાની ફ્લાઈટથી પણ કોવેક્સિનનો જથ્થો દિલ્હી આવી રહ્યો છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનો કોવિશીલ્ડનો પહેલો જથ્થો આજે સવારે ગોવા પહોંચી ગયો છે. ગોવા એરપોર્ટના ડિરેક્ટર ગગન મલિકે કહ્યું છે કે બંને બોક્સને રાજ્ય સ્વાસ્થ્ય વિભાગને સોંપી દેવામાં આવશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટે મંગળવારે અલગ અલગ શહેરોમાં વેક્સિન મોકલાનું શરૂ કરી દીધું છે. ઘણાં શહેરોમાં આજે વેક્સિન પહોંચી ગઈ છે. ભોપાલમાં સવારે 11 વાગે કોવિશીલ્ડનો 94 હજારનો ડોઝ પહોંચ્યો છે.  મધ્યપ્રદેશના 24 જિલ્લામાં વેક્સિન મોકલવામાં આવશે.