નાણાંકીય મામલે સંસદની સ્થાયી સમિતિએ છેલ્લા કેટલાક મહિના દરમિયાન એક પછી એક બહાર આવી રહેલા બેન્ક કૌભાંડ પર સવાલોના જવાબ આપવા માટે રિઝર્વ બેન્કના ગર્વનર ઉર્જિત પટેલને 17 મે ના રોજ હાજર થવા આદેશ કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ વિરપ્પા મોઇલીની અધ્યક્ષતાવાળી આ સમિતિએ મંગળવારે યોજાયેલી બેઠકમાં નાણાકીય સેવા સચિવ રાજીવ કુમારને બેન્કિગ ક્ષેત્ર સંબંધિત કેટલાક સવાલ પુછવામાં આવ્યા હતા.
સૂત્રોને મળતી જાણકારી મુજબ 17 મેના રોજ ઉર્જિત પટેલને બેન્ક કૌભાંડને અને બેન્કિગ ક્ષેત્રના નિયમન સંબંધમાં જવાબ માટે બોલાવામાં આવ્યાં છે. આ સમિતિના સભ્ય તરીકે દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે આરબીઆઇના ગર્વનરે કહ્યું હતું કે સરકારી બેન્કો સાથે વ્યવહાર કરવા માટે તેમની પાસે કોઇ પર્યાપ્ત સત્તા નથી.સૂત્રોના અહેવાલ મુજબ સમિતિ એ જાણવા માગે છે કે આરબીઆઇના ગર્વનર ઉર્જિત પટેલને કેવા પ્રકારની સત્તા જોવે છે. સમિતિનું માનવું છેકે બેન્કોનું નિયમન એક મહત્વની જવાબદારી છે જેના માટે ગર્વનરની નિમણૂક કરવામાં આવે છે. સૂત્રો અનુસાર સમિતિની બેઠકમાં પીએનબી અને આઇસીઆઇસીઆઇ સહિત દરેક સરકાર બેન્ક તેમજ ખાનગી બેન્કમાં થયેલા કૌભાંડ પર ચર્ચા કરવામાં આવી.
• Share •