Page Views: 166544

રાજ્ય સરકાર નવી ૨૭ હજાર જગ્યા માટે ભરતી કરશે

ગુજરાત જાહેર સેવા આયોગ અને ગૌણ સેવા પસંદગી મંડળ માટે અનુક્રમે રૂ.૨,૦૯૮.૨૮ લાખ તથા રૂ.૧,૪૯૫.૯૫ લાખની જોગવાઇ કરી

ગાંધીનગર:

       રાજ્ય સરકાર ધ્વારા છેલ્લા એક વર્ષમાં ગૃહ વિભાગની ૨૫,૫૫૨ની ભરતી સહિત ૭૦ હજારની ભરતી કરવામાં આવી હોવા સાથે ચાલુ વર્ષે પણ ભરતી કેલેન્ડર મુજબ અંદાજે ૨૭,૦૦૦ કરતાં પણ વધુ જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે.

         ગુજરાત વિધાનસભામાં સામાન્ય વહીવટી વિભાગની મંત્રી પરિષદની મહેસૂલી ખર્ચની રૂ.૫.૭૦ કરોડ, ચૂંટણી અંતર્ગત મહેસૂલી રૂ.૧૪૭ કરોડ, મૂડીને લગતી રૂ.૧૦૦ કરોડ તેમજ સામાન્ય વહીવટી વિભાગની રૂ.૧૨૨ કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સામાન્ય વહીવટ વિભાગની માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ખાનગી ક્ષેત્રની સાથે રાજ્ય સરકારના વિવિધ વિભાગોનાં વર્ગ-૧થી ૩ના સંવર્ગમાં અંદાજીત ૭૦,૦૦૦ થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. આ ભરતીમાં ગૃહ વિભાગની ૨૫,૫૫૨, પંચાયત ગ્રામ વિકાસની ૧૧,૫૬૩, શિક્ષણની ૯,૦૦૦, મહેસૂલ વિભાગની ૩,૧૬૬, આરોગ્ય વિભાગની ૧,૮૭૪, વન અને પર્યાવરણ વિભાગની ૧,૪૮૪ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે.

        રાજ્યમાં ભરતી પ્રક્રિયા પારદર્શી રીતે અને જરૂરીયાત પ્રમાણે કરવા ગુજરાત જાહેર સેવા આયોગ અને ગૌણ સેવા પસંદગી મંડળ માટે અનુક્રમે રૂ.૨,૦૯૮.૨૮ લાખ તથા રૂ.૧,૪૯૫.૯૫ લાખની જોગવાઇ કરી છે. રાજ્યમાં વર્ષ ૧૯૯૨ થી સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) અમદાવાદ દ્વારા વિવિધ તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે.તેમાં અત્યાર સુધીમાં ૧૬૯ ઉમેદવારોએ યુ.પી.એસ.સી. પાસ કરીને નિમણૂંક મેળવી છે.રાજ્યના તેજસ્વી યુવાનો IAS, IFS, અને IPS જેવી વિવિધ અખિલ ભારતીય પરીક્ષાઓમાં ઉત્તિર્ણ થઇને સરકારની ઉચ્ચ પદવીઓ પર નોકરી મેળવી શકે તે હેતુથી તેમને તાલીમ આપવા માટે ચાલુ વર્ષે ૨૦૧૮-૧૯ના અંદાજપત્રમાં રૂા.૧૫૮૬.૪૨ લાખ ફાળવવામાં આવ્યા છે. ૨૦૧૩ થી ૨૦૧૮ સુધી કુલ ૧૯૦૦ તાલીમાર્થીઓને તાલીમ અપાઇ છે.આ ઉપરાંત કર્મચારીઓની કાર્યક્ષમતા વધે અને ગુણવત્તામાં વધારો થાય તે માટે આઇ.એ.એસ. જેવા ઉચ્ચ સંવર્ગથી લઇ વર્ગ ૧-૨ના સંવર્ગને HRMS હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ અપનાવી પેપરલેસ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે.આ યોજના અંતર્ગત ૨૫૦૦૦ થી વધુ કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા છે.