સુરત-26-9-2020
ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સહકાર એજ્યુકેશન ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે શનિવાર, તા. ર૬ સપ્ટેમ્બર ર૦ર૦ના રોજ ‘ધોરણ ૧૦, ૧ર અને ગ્રેજ્યુએશન પછીની ભાવિ શકયતાઓ’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે એસ.એમ.એસ.આર. એજ્યુકેશન પ્રા.લિ.ના સંજય રાવલ અને ધનવંતરી ફાર્મસી કોલેજના આચાર્ય ડો. એમ.એન. નૂલવીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને કારકિર્દી વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
કોરોનાને સંકટ નહીં પણ સુવર્ણ તક માનજો એવું કહીને પોતાના વકતવ્યની શરૂઆત કરનાર સંજય રાવલે જણાવ્યું હતું કે, કોરોનાએ જે સમય આપણને ફુરસદનો આપ્યો એ માત્ર ભગવાનના આશિર્વાદ છે એમ માનજો. વાંચન, કુટુંબ સાથે સમય પસાર કરાવતો ઉપક્રમ, પોતાની જાતને સમજવા માટેની કવાયત એ કોરોનાના જમા પાસા છે. ઘણી બધી નવી તકો ઉભી થઇ ચૂકી છે અને હજુ ઘણી નવી તકો ઉભી થવાની બાકી છે. સમયના પડકાર સાથે જીવતા શીખશો તો જીવનમાં અત્યંત સફળતાને વરશો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સફળ થવાનો હાર્ડવર્ક સિવાય કોઇ વિકલ્પ નથી. દિવસમાં ૧પ કલાક કામ કરો તો સફળતા તમારા કદમ ચૂમતી આવશે, જેમાં નિષ્ફળતાને કોઇ અવકાશ નહીં રહે. કારકિર્દીની પસંદગી માટે વાલીઓને તેમણે વિનંતી કરતા જણાવ્યું હતું કે, મહેરબાની કરીને તમે તમારી અધુરી રહેલી ઇચ્છાઓ તમારા બાળકોમાં પુરી કરવાની કોશિષ ન કરો. એમને સ્વતંત્ર રીતે ખીલવા દો. તેમણે કહયું કે, ભાષા કયારેય પણ કોઇપણ વ્યકિતના વિકાસમાં અવરોધરૂપ બનતી હોતી જ નથી. આથી ભાષાની સંકુચિતતામાં પડશો નહીં.
ડો. એમ.એન. નૂલવીએ ધનવંતરી ફાર્મસી કોલેજ વિશે માહિતી આપી વિદ્યાર્થીઓ અને વાલીઓને ભવિષ્યની કારકિર્દી વિશે માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બરના મેનેજિંગ કમિટીના સભ્ય નિખિલ મદ્રાસીએ સમગ્ર વેબિનારનું સંચાલન કર્યું હતું.
• Share •