મહેસાણા-8-8-2020
મહેસાણાની જાણીતી એવી દૂધસાગર ડેરીના ભેળસેળવાળા ઘી મામલે વહીવટીતંત્ર અને ડેરીના સત્તાધીશો આમને-સામને આવી ગયા છે. ગત 24 જુલાઇ શુક્રવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ બી ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દૂધસાગર ડેરીના ઘીના બે ટેન્કર જપ્ત કરી, ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલાતાં આગામી દિવસોમાં આ મામલે સહકારી રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. મહેસાણા દૂધ સાગર ડેરીના ઘી મા ભેળસેળના મુદ્દે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. દૂધસાગર ડેરીનાં ચેરમેન, વાઇસ ચેરમેન, એમડી, લેબ હેડ, અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. વાઇસ ચેરમેન અને એમડી ની પોલીસે હસ્તગત કરી પૂછપરછ કરાઈ હતી. વિસનગર ડીવાયએસપીની અધ્યક્ષતામાં 5 સભ્યોની સીટની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. મહેસાણા દૂધ સાગર ડેરીના ઘીમાં ભેળસેળનો મુદ્દે હવે જોરદાર ખુલાસો થયો છે. ઘીમાં એ.સી. કેમ નામનું ઓઈલ ભેળવતા હોવાનો ખુલાસો થયો છે. ઘીની તપાસ માટે જે.સી. મશીન વસાવવા ફેડરેશનની સૂચના આપી દેવામાં આવી છે. આ ભેળસેળવાળું ઘી હરિયાણાના પુનહામાં મંજૂરી વગર બનાવવામાં આવતું હતું. જેસી મશીનથી ઘીમાં ભેળસેળ પકડી શકાય છે પરંતુ ફેડરેશનની સૂચનાની અવગણના કરી બે વર્ષથી ડેરીએ મશીન વસાવ્યું નહોતું. ઘી માં ભેળસેળ પકડાતા બે માસ અગાઉ જ પ્લાન્ટ તાત્કાલિક બંધ કરી દેવાયો હતો. સમગ્ર કેસમાં ડેરીના વાઇસ ચેરમેન મોઘજીભાઈ ચૌધરી, એમડી નિશિથ બક્ષી અને લેબોરેટરી હેડ સુધીની ધરપકડ થઈ ચૂકી છે. દૂધસાગર ડેરીના ટેન્કરમાંથી ભેળસેળવાળું ઘી પકડાયા બાદ ફેડરેશન દ્વારા ડેરીના સત્તાધીશોને નોટિસ પાઠવી તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. ત્યારબાદ, ભેળસેળવાળા ઘી પ્રકરણમાં રાજ્ય સહકારી રજિસ્ટ્રારે ડેરીના નિયામક મંડળને પત્ર લખીને એમડીને ફરજ મોકુફ કરવા આદેશ કર્યો હતો. સહકારી ક્ષેત્રની ચીજ વસ્તુઓમાં ક્યારેય ભેળસેળ થતી હોય એવુ બનતું નથી પરંતુ મહેસાણા દૂધ સાગર ડેરીના વહીવટમાં થયેલા આ ગફલાને કારણે હવે સહકારી મંડળીઓની પ્રોડક્ટ ઉપર પણ લોકો શંકાની નજરે જોતા થઇ ગયા છે.
• Share •