Page Views: 21436

ગુજરાતમાં લોક ડાઉન-5માં બધી છૂટછાટ પાછી ખેંચાશે એવો ખોટો મેસેજ વાયરલ થયો હોવાનું જણાવતા મુખ્યમંત્રી રૂપાણી

અસામાજીક તત્વોએ તકનો લાભ લઇ લોકોને ગેરમાર્ગે દોરવા માટે વોટસએપમાં મેસેજ વાયરલ કર્યો છે

ગાંધીનગર-28-5-2020
કોરોનાના કહેરને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન 4નો સમયગાળો પૂર્ણ થવાના આરે છે ત્યારે  સોશિયલ મીડિયામાં હાલ એક ફેક મેસેજ વાયરલ થયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, લોકડાઉન 5 લંબાવવામાં આવ્યું છે. અને ગુજરાતમાં અપાયેલી તમામ છૂટછાટો બંધ કરી દેવામાં આવશે. ઉપરાંત સુરત અને અમદાવાદને આર્મીને સોંપવામાં આવશે અને 14 દિવસ માટે આ બન્ને શહેરોમાં લોક ડાઉનનો કડક અમલ કરવામાં આવશે. આ મામલે ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં આ મેસેજને અફવા ગણાવી છે. છેલ્લા કેટલાક દિવસથી એવા મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છેકે, લોકડાઉનનો પાંચમો તબક્કો આવશે અને ફરીથી જે પણ છૂટછાટ આપવામાં આવી છે તે બંધ કરી દેવામાં આવશે. આ પ્રકારના મેસેજ ફરતા થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છેકે, 1લી જૂનથી લોકડાઉન 5 અમલમાં આવશે અને ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે, એવી વાતો ફેલાવાઈ રહી છે. આ વાતો માત્ર અફવા છે અને નાગરિકોએ આવી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઇએ.
 લોકડાઉનનો ચોથો તબક્કો પુર્ણ થતાં જ લોકોમાં હવે વધુ એક ચર્ચા ઉઠી છે, કે લોકડાઉન 5 આવશે કે કેમ.. આવશે તો કેવું હશે લોકડાઉન. આ સિવાયનાં ઘણા પ્રશ્નો લોકોનાં મનમાં ઉઠી રહ્યા છે. તેવામાં કેટલાય અસામાજિક તત્વો લોકોનાં ડરનો લાભ ઉઠાવીને સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. અને લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે. વાસ્તવમાં લોક ડાઉન પાંચમાં રાજ્ય સરકાર જે કન્ટેન્ટમેન્ટ ઝોન નથી એવા તમામ વિસ્તારોમાં વધારે છૂટછાટ આપવા માટે વિચારી રહી છે અને જન જીવનને રાબેતા મુજબનું કરવાની દિશામાં કાર્યવાહી કરવા જઇ રહી છે.