Page Views: 79481

સુરતમાં કોરોનાને કારણે આધેડનું મોત - રાંદેરના બે સહિત કુલ ત્રણ દર્દીને કોરોના પોઝીટીવ

ગત રોજ દાખલ કરાયેલા અહેસાન રશીદ ખાનનું મોત- ઝીન્નત કુરેશીને પતિ અબ્દુલ વહાબ પાસેથી ચેપ લાગ્યો – આ સિવાય ઝુબેદા અબ્દુલ પટેલ અને સાજીદ અબ્દુલ રહેમાનને પણ કોરોના પોઝીટીવ આવતા સારવાર હેઠળ

સુરત-7-4-2020 
સુરત શહેરમાં કોરોના ધીમે ધીમે જીવલેણ બની રહ્યો છે ગત રોજ કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવેલા એક આધેડનું આજે મોત થયુ છે આ સિવાય પણ કોરોનાના વધુ ત્રણ નવા કેસ સુરત શહેરમાં નોંધાયા છે અને આ ત્રણેય દર્દીઓની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી જેથી તેમને લોકલ ટ્રાન્સમીશનથી ચેપ લાગ્યાનું તંત્રનું માનવું છે. 
વિગતો અનુસાર, ગત રોજ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા અહેસાન રશીદખાન નામના દર્દીને કોરોનાનો ટેસ્ટ પોઝીટીવ આવતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. 52 વર્ષીય અહેસાન રશીદખાનનું આજે સારવાર દરમ્યાન કોરોનાને કારણે મોત થયું હતું. આ સિવાય શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા ઝુબેદા અબ્દુલ સત્તાર પટેલ (ઉ.વર્ષ 67) અને અડાજણ પાટીયા વિસ્તારમાં રહેતા ઝીન્નત અબ્દુલ વહાબ કુરેશી (ઉ.વર્ષ-42) તેમજ રામપુરાની લોખાત હોસ્પિટલની એમ્બ્યુલન્સના ડ્રાઇવર સાજીદ અબ્દુલ રહેમાન આ ત્રણ દર્દીને કોરોનાનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે અને ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
ગત રોજ દાખલ કરાયેલા કોરોનાના દર્દી અહેસાન રશીદખાનનું મોત થતા સુરત શહેરમાં કોરોનાને કારણે મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા ત્રણ થઇ ગઇ છે અ નવા ત્રણ કોરોનાના દર્દીઓ સામે આવતા સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 21 થઇ છે.