નવીદિલ્હી-06-04-2020
કોરોના વાયરસને અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે કોરોના સામે લડવા માટે નવા નિર્ણયો લેવાની સાથે રાહત પણ જાહેર કરવામાં આવી રહી છે. આજે મોદી સરકારની કેબિનેટની મળેલ બેઠકમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. જેમાં તમામ સાંસદોના પગારમાં એક વર્ષ સુધી ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમજ રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલો પણ પોતાના પગારને ઓછો કરવાનો નિર્ણય કર્યો છે. જે રકમને એકત્ર કરીને તેનો ઉપયોગ કોરોના સામે લડવામાં કરવામાં આવશે. તેમજ બે વર્ષ માટે સાંસદને મળતું ફંડ પણ સ્થગિત કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબીનેટની બેઠકમાં આજે બે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેની માહિતી આપતા કેબીનેટ મંત્રી પ્રકાશ જાવડેકરએ જણાવ્યું હતું કે તમામ સાંસદોની સેલેરીમાં ૩૦ ટકા કાપ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાંસદોની આ સેલેરીનો ઉપયોગ કોરોના સામે લાદવામાં કરવામાં આવશે. તેમજ બીજા નિર્ણય વિષે જણાવતા કહ્યું હતું કે આગામી બે વર્ષ સુધી સાંસદોને મળતું ફંડ પણ સ્થગિત કરવામાં આવ્યું છે. તેમજ વધુમાં પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને બધા રાજ્યોના રાજ્યપાલોએ પણ કોરોના સામે જંગ માટે પોતાની સેલેરી ઓછી કરવાનો નિર્ણય કર્યો છે. આગામી એક વર્ષ માટે સેલેરીમાં કાપ ૧ એપ્રિલ 2020થી લાગુ પડશે. આ બધી રકમ દેશના સંગઠિત ફંડમાં જશે. કેન્દ્રીય મંત્રી જાવડેકરના મતે બધા સાંસદોનું સાંસદ લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ રૂપિયા ૭૯૦૦ કરોડ રુપિયા થશે. આ રકમ ભારતના સંગઠિત ફંડમાં આપવામાં આવશે.
• Share •