Page Views: 4515

ગુડ ન્યૂઝ ઃ- સુરતમાં કોરોનાના વધુ બે દર્દીને સારવાર બાદ રજા અપાઇ

શહેરના ઘોડદોડ રોડ અને કૈલાસ નગર ખાતે રહેતા બે યુવાનોને સારવાર માટે દાખલ કરાયા હતા

સુરત-2-4-2020
સુરત શહેરમાં કોરોનાની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા દર્દીઓ પૈકી વધુ બે દર્દીને સારવાર બાદ કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલના બિછાના પરથી રજા આપવામાં આવી છે. આ અંગે મળતી વિગતો અનુસાર, શહેરના ઘોડદોડ રોડ કરીમાબાગ સોસાયટી ખાતે રહેતા યુવાનની ટ્રાવેલિંગ હિસ્ટ્રી શ્રીલંકા અને દુબઇની હતી ત્યાંથી તે પરત આવ્યા બાદ તેને કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. આ યુવાનને સારવાર માટે નવી સિવિલમાં દાખલ કરાયો હતો અને ત્યાં લાંબી સારવાર બાદ છેલ્લા ચોવિસ કલાકમાં તેના બે રિપોર્ટ નેગેટીવ આવતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સિવાય શહેરના કૈલાસ નગર ખાતે રહેતા યુવાનનો કોરોના ટેસ્ટ પણ પોઝીટીવ આવતા તેને સારવાર આપવામાં આવી હતી અને તેનો ટેસ્ટ પણ સારવાર બાદ નેગેટીવ આવતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કૈલાસ નગર અને ઘોડદોડ રોડના બે દર્દીને કોરોનાની સારવાર બાદ રજા આપવામાં આવતા તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો.