અમદાવાદ-25-03-2020
વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયમાં શ્રમજીવી વર્ગો અને રોજમદારોના પરિવારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આવા કારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ ૬૦ લાખ જેટલા પરિવારોને વિનામુલ્યે અનાજ પૂરું પાડવામાં આવશે. આ લોકડાઉનના ૨૧ દિવસો દરમિયાન આ પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.
જે અંગેની માહિતી આપતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસના સંક્રમણને લઈને પ્રધાનમંત્રી દ્વારા ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તે સ્થિતીમાં આવા નાના અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે રાજય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જીવન જરૂરી ચીજવસ્તુઓના પુરવઠામાં કે અન્ય કોઇ પણ આવશ્યક સેવાઓમાં ભવિષ્યમાં પણ કોઇ તકલીફ ન પડે તે માટે રાજય સરકાર પૂરી ગંભીરતાથી આયોજન કરી રહી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ ૬૦ લાખ જેટલા પરિવારોના ૩.રપ કરોડ લોકોને આ લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે આ રેશનકાર્ડ ધારક પરિવારોને ૧ એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજયની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ ૩.પ૦ કિલો ઘઉં, વ્યકિત દીઠ ૧.પ૦ કિલો ચોખા અને કુટુંબ દીઠ ૧ કિલો ખાંડ, ૧ કિલો દાળ અને ૧ કિલો મીઠુ વિનામૂલ્યે અપાશે. તેમજ મુખ્યમંત્રી દ્વારા ફરી એકવાર અપિલ કરવામાં આવી છે કે આ ર૧ દિવસ દરમિયાન સૌ ઘરમાં જ રહે, બહાર ભેગા ન થાય, આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો રાજયમાં પુરતી માત્રામાં છે એટલે તેનો સંગ્રહ કરવા કે આવી ચીજવસ્તુઓ મળશે નહિ તેવો ડર રાખવાની કોઇ જરૂર નથી.
• Share •