Page Views: 53391

બાપુ શંકરસિંહ વાઘેલાના બંગલામાં ચોકીદાર જ ચોર.. રોકડા ત્રણ લાખ અને 12 તોલા દાગીનાની ચોરી

નેપાળી દંપતિ હાથફેરો કરીને પલાયન થઇ જતા પેથાપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી

ગાંધીનગર-18-3-2019

રાજ્યના માજી મુખ્યમંત્રી અને એક સમયના ભાજપ-કોંગ્રેસના અગ્રણી નેતા અને હાલમાં એનસીપીના જનરલ સેક્રેટરી એવા બાપુ શંકરસિંહ વાઘેલાના બંગલામાં ચોકીદાર જ ચોરી કરીને નાસી છુટ્યાની ઘટના બહાર આવી છે. બાપુના બંગલા વસંત વગડામાં ઘાટી કમ ચોકીદાર તરીકે કામ કરતું નેપાળી દંપતી રોકડ રકમ અને સોનાના દાગીના લઇ નેપાળ નાસી છુટ્યું છે અને આ મામલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

 રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના ગાંધીનગર- રાંધેજા રોડ પર આવેલા નિવાસ સ્થાન વસંત વગડા બંગલામાં છેલ્લા ચાર વર્ષથી બાસુદેવ નેપાળી ઉર્ફે શંભુ ગુરખા અને તેની પત્ની શારદા ઘરઘાટી તરીકે કામ કરતા હતા. દંપતી બાળકો સાથે વસંત વગડામાં જ રહેતા હતાં. પરંતુ શંકરસિંહની બહેનના દીકરાના લગ્નમાં વ્યવહાર માટે આશરે ત્રણ લાખ અને 12 તોલા સોનાના દાગીના ઘરમાં મુક્યા હતા. ઓક્ટોબર 2018માં શંભુ તેના બાળકોને નેપાળ ભણવા મૂકવા જવાનું કહી પત્ની સાથે વતનમાં ગયો હતો. પરંતુ જ્યારે 7 ફેબ્રુઆરી 2019એ લગ્ન પ્રસંગ આવતા ઘરમાં રહેલા રોકડ અને દાગીના લેવા જતા જણાયા ન હતાં. ત્યારે ઘરમાં ચોરી થઇ હોવાનું જણાયું હતું.ઘટનાને પગલે પેથાપુર પોલીસે ગુનો નોંધી દંપતીની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે.