સુરત-વર્તમાનન્યૂઝ.કોમ 20-2-2019
વરાછા અશ્વની કુમાર રોડ પર આવેલા પટેલ નગર ખાતેના એક ભંગારના ગોડાઉનમાં ગઇ મધરાતે ભીષણ આગ લાગી હતી. બનાવ અંગે જાણ થયા બાદ ફાયર બ્રીગેડના લાશ્કરો તુરંત ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
ફાયર બ્રીગેડ પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના વરાછા અશ્વની કુમાર રોડ પર આવેલા પટેલ નગર વિભાગ 3 ખાતે મીનેશ નટવરભાઇ પટેલનું ભંગારનું ગોડાઉન આવેલું છે. ગઇ રાત્રે પોંણા બાર વાગ્યાના સુમારે આ ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગની ઘટના અંગે ફાયર બ્રીગેડને જાણ કરવામાં આવતા લાશ્કરોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો તેમજ આગને કાબુમાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર બ્રીગેડના લાશ્કરોએ સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, સદ નસીબે આગને કારણે કોઇ પણ વ્યક્તિને ઇજા કે જાનહાની થઇ નથી.
પટેલ નગરના આ ભંગારના ગોડાઉનમાં ક્યા કારણોસર આગ લાગી તે અંગેની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આગને કારણે સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઇ ગઇ હતી અને લોકો મધરાતે પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા.
• Share •