Page Views: 41931

સણિયાગામની સીમમાંથી મહિલા અને બાળકની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી

પોટલામાં બાંધેલી લાશ હત્યા કરી અવાવરૂ ખેતરમાં ફેંકી દેવાયાની આશંકા સાથે ડીંડોલી પોલીસે તપાસ આદરી

સુરત-19-5-2018

શહેરના છેવાડે આવેલા સણિયાગામની સીમમાંથી આજે સવારે એક મહિલા અને એક બાળકની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ બિનવારસી હાલતમાં મળી આવી છે. પ્રાથમિક દ્રષ્ટ્રિએ જ આ બન્નેની હત્યા કરવામાં આવી હોવાની વિગતો પોલીસના ધ્યાન પર આવી છે અને આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના છેવાડે આવેલા સણિયાગામની સીમમાંથી આજે સવારે સાડા દસ વાગ્યાના અરસમાં અંદાજે 25 વર્ષની ઉમરની એક મહિલા અને તેની સાથે એક પાંચ વર્ષના બાળકની લાશ પોટલામાંથી મળી આવી છે. મહિલાના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હોવાનું જણાતા પોલીસનું પ્રાથમિક રીતે એવુ માનવામાં આવે છે કે, આ મહિલા અને માસુમ બાળકની કોઇએ હત્યા કરી છે અને ત્યાર બાદ આ બન્નેની લાશને પોટલામાં બાંધીને આ સ્થળ પર ફેંકી દેવામાં આવી હશે. મહિલાએ શરીર પર સાડી પહેરેલી છે જ્યારે બાળકે લાલ રંગનું ટીશર્ટ અને જીન્સની ચડ્ડી પહેરેલી છે.

પોલીસને એવી આશંકા છે કે, આ બન્નેની કોઇએ હત્યા કરી નાંખી છે જો કે, હજુ સુધી આ મહિલા અને બાળકની કોઇ ઓળખ થઇ શકી નથી. હાલમાં ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે તેમજ આ માતા પુત્રની ઓળખ શોધવા માટેની કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલા પાંડેસરામાંથી એક માસુમ બાળકીની લાશ મળી હતી અને તેની માતાની લાશ સચીન વિસ્તારમાંથી મળી હતી જેનો ભેદ ઉકેલવા માટે પોલીસને નવનેજે પાણી ઉતર્યા હતા અને માંડ માંડ તેના હત્યારાઓ સુધી પોલીસ પહોંચી શકી હતી. હવે આ નવો જ હત્યા કેસ સામે આવતા ડીંડોલી પોલીસ સહિત શહેર પોલીસનો કાફલો દોડતો થઇ ગયો છે.