Page Views: 83236

ખોટું રિટર્ન ફાઇલ કરવા સામે IT વિભાગની ચેતવણી

સીપીસી પર આઇટીઆરનું પ્રોસેસિંગ સ્વચાલિત હશે અને તેમાં કોઈ પણ પ્રકારના માનવીય સ્પર્શ કે સંપર્કને સ્થાન નહીં હોય.

નવી દિલ્હી:

          આવકવેરા વિભાગે પગારદાર કર્મચારીઓને ઓછી આવક દર્શાવવી કે રિટર્ન ફાઇલ કરતી વખતી કપાતો 'વધારીને' બતાવવા જેવી ગેરકાનૂની રીત રસમ અપનાવવા સામે ચેતવણી આપી છે. તેણે કહ્યું હતું કે આ નિયમનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી થશે અને તેમના માલિકોને પણ સૂચના આપવામાં આવશે કે તેમની સામે પગલાં લે.ઇન્કમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) મગાવીને અને તેના પર પ્રક્રિયા કરતાં બેંગલુરુ ખાતેના સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટે ચેતવણી જારી કરી છે કે કરદાતાઓએ અપ્રમાણિક કર સલાહકારો કે પ્લાનરની જાળમાં ન ફસાવું જોઈએ, જે તેમને ટેક્સ બેનિફિટના ખોટા ફાયદા માટે તૈયાર કરવામાં મદદ કરે છે.

           આવકવેરા વિભાગે ઓછી આવક બતાવતા, વધારે કપાત બતાવતા તથા ખોટી રાહતો મેળવતા પગારદાર કર્મચારીઓને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે અપ્રામાણિક વચેટિયાની સહાય મેળવતા આ પ્રકારના કરદાતાઓની નોંધ લેવાઈ રહી છે. આ પ્રકારના ગુના આવકવેરા ધારાની વિવિધ સંહિતા અને કાર્યવાહીની જોગવાઈઓ હેઠળ સજાપાત્ર છે. આવકવેરા વિભાગની તપાસ શાખાએ જાન્યુઆરીમાં બેંગલુરુ સ્થિત અગ્રણી ટેક્‌નોલોજી કંપનીના કર્મચારીઓએ ટેક્સ એડ્વાઇઝરની સલાહકારના આધારે છેતરપિંડીવાળા ટેક્સ રિફંડ મેળવ્યા હોવાનું શોધી કાઢ્યું તેના સંદર્ભમાં આ ચેતવણી જારી કરવામાં આવી છે.સીબીઆઇએ આ સાંઠગાંઠ માટે તાજેતરમાં ફોજદારી કેસ નોંધ્યો હતો. આવકવેરા વિભાગ માટે નીતિ ઘડતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ નવું આઇટીઆર તાજેતરમાં નોટિફાઇડ કર્યા પછી પગારદાર વર્ગના કરદાતાઓની ટેક્સ ફાઇલિંગ સીઝનનો પ્રારંભ થયો છે.એક પાનાની એડ્વાઇઝરી ઉમેરે છે કે જો આવકવેરા વિભાગને આઇટીઆરમાં કોઈ પણ પ્રકારનો દાવો છેતરપિંડીભર્યો લાગે તો આ પ્રકારનો દાવો આવકવેરા ધારાની જોગવાઈ હેઠળ સજાને પાત્ર હશે અને તેના લીધે રિફંડ જારી કરવામાં પણ વિલંબ થઈ શકે છે. આથી કરદાતાઓને ચુસ્ત સલાહ છે કે તેઓ અપ્રામાણિક વચેટિયાની ખોટી સલાહ કે ખોટાં વચનોમાં ન ફસાય અને આઇટીઆરમાં એવા ખોટા ક્લેમ્સ ન કરે, જેને કરચોરીના કેસ તરીકે ગણવામાં આવે.આવકવેરા વિભાગે ઉમેર્યું હતું કે સરકારી કે પીએસયુ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા ખોટા ક્લેમ્સમાં તેનો રેફરન્સ વિજિલન્સ વિભાગને અપાશે અને તે તેના નિયમો હેઠળ કાર્યવાહી કરશે. એડ્વાઇઝરીએ ઉમેર્યું હતું કે આવકવેરા વિભાગ 'એક્સ્ટેન્સિવ રિસ્ક એનાલિસિસ સિસ્ટમ' ધરાવે છે અને તેનું ધ્યેય કોણ રિટર્ન ફાઇલ કરતું નથી તેને ઓળખી નાખવાનું અને તેને વિશ્વાસ આધારિત સિસ્ટમમાં લેવાનું છે, જ્યારે સીપીસી પર આઇટીઆરનું પ્રોસેસિંગ સ્વચાલિત હશે અને તેમાં કોઈ પણ પ્રકારના માનવીય સ્પર્શ કે સંપર્કને સ્થાન નહીં હોય.