સુરત-5-3-2018
શહેરના સલાબતપુરા વિસ્તારમાં એક જર્જરીત બિલ્ડીંગ નમી જતા ફાયર બ્રીગેડ દ્વારા તેને ખાલી કરાવવામાં આવી છે. તેમજ બિલ્ડીંગમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ફાયર બ્રીગેડ પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલી બક્ષીવાડી ખાતેની નૂરાની બિલ્ડીંગ અંદાજે 40 વર્ષ પહેલા બાંધવામાં આવી હતી. આ બિલ્ડીંગ અત્યંત જુની પુરાણી થઇ ગઇ હોવાથી તેના સ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું હતું તેમજ તે એક તરફ ઢળતી જતી હતી. બિલ્ડીંગ વધારે પડતી નમી ગઇ હોવાથી અને ગમે ત્યારે તુટી પડશે એવુ લાગતા સ્થાનિક લોકોએ આ અંગે ફાયર બ્રીગેડને જાણકારી આપી હતી. ફાયર વિભાગના લાશ્કરો અને અધિકારીઓ તુરંત ઘટના સ્થળ પર દોડી ગયા હતા તેમજ બિલ્ડીંગને તુટી પડતું અટકાવવા માટે તેના પાર્કિંગમાં ટેકા ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી હતી ઉપરાંત આ બિલ્ડીંગમાં વર્ષોથી રહેતા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આવનારા દિવસોમાં હવે આ બિલ્ડીંગને સલામતરીતે ઉતારી લેવામાં આવશે અને તેમાં આસપાસની મિલકતોને કોઇ નુકસાન ન થાય તેની પુરતી તકેદારી રાખવામાં આવશે.
• Share •