અમદાવાદઃ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન આગામી 14 ડિસેમ્બરના રોજ યોજાશે. આ અગાઉ તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન મોદી અને કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો અમદાવાદમાં યોજાનારો રોડ શો રદ કરી દેવામાં આવ્યો છે. બંન્ને નેતાઓ આજે અમદાવાદમાં રોડ શો કરવાના હતા પરંતુ વહીવટીતંત્રએ તેમને મંજૂરી આપી નહોતી.
આ સિવાય પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ ઘુમાથી નિકોલ સુધી રોડ શો કરવાનો હતો પરંતુ તેને પણ મંજૂરી આપવામાં આવી નથી. સ્થાનિક તંત્રએ સુરક્ષાના કારણોસર ત્રણેય નેતાઓને રોડ શો કરવાની મંજૂરી આપી નથી પરંતુ સભાઓ કરવાની મંજૂરી આપી છે. હાર્દિકે કહ્યું કે, નિકોલમાં સભા યોજવાની મંજૂરી મળી છે.સ્થાનિક વહીવટીતંત્રના મતે અમદાવાદમાં રોડ શો કરવાના કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પેદા થઇ શકે છે. જેને કારણે કોઇને રોડ શો કરવાની મંજૂરી આપવામાં આવી નથી. હાર્દિકને ચાર-પાંચ ગાડીઓ સાથે ચૂંટણી પ્રચારની મંજૂરી મળી છે.
• Share •