સુરત-13-11-2017
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના કાર્યાલય ઉપર ગઇ રાત્રે પાસના નામે દસ ટપોરીઓએ હુમલો કરતા ઘર્ષણ થયું હતું. આ ઘટના બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ સ્પસ્ટ કહ્યું છે કે, અમારા કાર્યાલય પર બીજી વખત કોંગ્રેસના ભાચુતી ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે હવે જો ત્રીજી વખત આવા તત્વો આવશે તો ભાજપના કાર્યકરો કોઇની પણ રાહ જોયા વગર તેમને ફટકારશે એ વાત નક્કી છે.
વિગતો અનુસાર, રવિવારે રાત્રે દસ વાગ્યાના સુમારે વરાછા રોડ હીરાબાગ ખાતે આવેલા કુમાર કાનાણીના જન સંપર્ક કાર્યાલય પર પાસના નામે દસ બાઇક સવારો આવ્યા હતા તેમણે કાર્યાલય બંધ કરી દેવાની ધમકી આપીને સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથો સાથ પથ્થરમારો કરીને ખુરશીઓ ઉછાળી હતી. ભાજપના કાર્યકરો બેઝ બોલના ધોકા અને લાકડીઓ લઇને આ ભાડુતી માણસોની પાછળ દોડ્યા હતા જેના કારણે આ તમામ નાસી છુટ્યા હતા. આ ટોળાએ પથ્થરમારો કરતા એક યુવાનનું માથું ફુટ્યું હતું. આ ઘટના બાદ કુમાર કાનાણીએ સ્પસ્ટ જણાવ્યું હતું કે, હવે તેમના કાર્યાલય પર આવા પ્રકારે કોઇ પણ હુમલો થશે તો ભાજપના કાર્યકરો કોઇની પણ શેહ શરમ રાખ્યા વગર આવા તત્વોનો સામનો કરીને તેમને ફટકારશે.
• Share •