Page Views: 36761

ચૂંટણીમાં ઓછા લાયક ઉમેદવારને પણ મત ન આપવો જોઈએ

સિસ્ટમ સુધારવાની જવાબદારી પ્રજાની પણ છે

વિચાર યાત્રા..
નીતા સોજીત્રા(નીશો) દ્વારા

આમતો દેશના નિયમો અને કાયદાઓથી વિરુદ્ધ કે જુદું લખવું એ કોઈ પણ લેખકને માટે સારું કે સાચું નહીં એ હું જાણું છું. લોકોને સકારાત્મક દ્રષ્ટિકોણ આપવાનો દરેક લેખકનો મૂળભૂત હેતુ જોવો જોઈએ પરંતુ ક્યારેક કોઈ ઘટનાઓ ઘટે, પછી એનું પુનરાવર્તન થાય, પછી એ સમજણ કેળવાય કે કંઈક ખોટું અને નુકસાનકર્તા થઈ રહ્યું છે ..એ પછી પણ એ પ્રવૃત્તિમાં આપણે જોડાઈએ અને માત્ર એટલે કે એ આપણો હક્ક છે તો હું માનું છું કે એના કરતાં એવા હક્કો ત્યજવા જ હિતાવહ છે.
   વાત કરવી છે ચૂંટણીની. ૧૮ વર્ષ પછી મતદાન એ નાગરિકનો મૂળભૂત અધિકાર છે, મતદાન એ સ્વદેશી હોવાની માન્યતા અને ગૌરવ અપાવતો એક હક્ક છે. એકવાર એ વિશે પણ વાત કરી જ છે કે આ વયમર્યાદાને વધારવાની જરૂર છે પણ આજે વાત કરવી છે એ એટલી કે આપણે એવું માનીએ છીએ કે આપણાં એક મતનું આવે શુ? પણ એ વાત માત્ર થોડાક મતે હરનાર ઉમેદવાર જ સમજી શકે. હું તો એવું માનું છું કે આ ઉમેદવાર પસંદગી અને ટીકીટ ફળવણીની આખી સિસ્ટમ બદલાવી જોઈએ. આ વિશે પણ લખ્યું જ છે. 
    પક્ષ ચાહે કોઈ પણ હોય સ્થાનિક લોકોને ત્યાંના ધારાસભ્યથી નિસ્બત હોવાનો (જનરલ તારણ) એના ગામના અને એને સ્પર્શતા કેટલાક પ્રશ્નો ઉકેલવાની આશા અને ક્ષમતા પૂરતો જ એને નિસ્બત હોય અને એ બહુ સ્વાભાવિક વાત છે પણ આમ જ ધારાસભ્યો બનતા બનતા જ આખરે પક્ષ રચાય છે દરેક નાગરિક પક્ષ ને બદલે ઉમેદવારની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને મતદાન કરે તો કદાચ બે ખરાબ માંથી એક ઓછો ખરાબ માણસ સત્તા પર આવે પરંતુ જ્યારે એવું લાગે કે ઉમેદવારી નોંધાવનાર અને ટીકીટ મેળવી જનાર બન્ને ઉમેદવાર (કે બે થી વધુ) કોઈ પણ રીતે લાયકાત ધરાવતો નથી આટલી મોટી જવાબદારી વહન કરવાની ..તો એવા ઉમેદવારને પણ માત્ર હક્ક ભોગવવા જ મતદાન કરવાને બદલે મતદાન નો હક્ક જતો કરી દેવો  કમસે કમ પાપના ભાગીદાર તો ન થઈએ..
   હું માનું છું કે જો દરેક લોકો આવું કરે તો આખી ચૂંટણી પ્રથાજ એક ફલોપ શૉ સાબિત થાય અને આખરે સરકારે કૈક નવું વિચારવું પડે અને એ રીતે આવા અનર્થો સામે કૈક સાચું અને વધુ સારું તથા અર્થસભર ઓપ્શન મળી આવે..
    મતદાન હક્ક છે એ કરતા વધુ એ ફરજ છે અને ફરજ ને સાચા દિલથી નિભાવવી એ ખરા નાગરિક અને દેશભક્તનું લક્ષણ છે. આપણા એક મતથી ખોટો માણસ સત્તા પર આવે છે અને આ જ ભૂલોનું પુનરાવર્તન પણ કરીએ છીએ.
   મેં ઘણીવખત ઘણાને પૂછ્યું છે કે, "ફલાણો માણસ તમને યોગ્ય લાગે છે મત આપવા માટે?? તો એ કહે કે, "આમ તો બધા સરખા છે પણ આ ઓછો ખરાબ છે" ઓછો પણ ખરાબ તો છે ને?? તો કરો વિરોધ..કરો બહિષ્કાર... ત્યાગ કરો એવા મતાધિકારનો...
   બદલાવ લાવવો છે તો ભોગ આપવો પડશે..ત્યાગીને ભોગવી જાણવું પડશે(અલગ મતલબ માં) દેશસેવા અને દેશહિત માટે આ જરૂરી છે..
     હું આ આખી સિસ્ટમની હંમેશાથી વિરોધી રહી છું અને ઘણા લોકો કહે છે કે તમે મત નથી આપતા તો તમને ફરિયાદ નો હક નથી પણ મત માટે કોઈ યોગ્ય જ નથી તો મત શુ કામ આપવો? અને ફરિયાદ કોઈને સ્પર્શે છે??
   આ મારા વિચારો છે પણ હું માનું છું કે કેટલાય અખતરા કર્યા છે  તો એક વધુ...પોતાના વિસ્તારમાં ઉભેલા ઉમેદવાર વિશે આપણે જાણતા જ હોઈએ છે જો એ લાયક નથી તો મત આપવાનું ટાળવું એ બેસ્ટ. એક પણ ઉમેદવાર લાયક ન હોય એના માટે બટન દબાવીને પણ મતને શુકામ બગાડવો?? આપણે તો સાચો અને નિષ્પક્ષ માણસ જોઈએ છે માટે મતદાન જ ન કરીને સાચા માણસોને જ ટીકીટ મળે એ પ્રથા લાવવી છે. કોઈ નહિ એવું કહેવાથી ઉમેદવાર તો નહીં જ બદલાયને?? એના કરતાં દરેક માણસ કોઈને મત આપે જ નહીં તો આનાથી અડધા વર્ષોમાં સારો અને સાચો નેતા મેળવી શકાય...
    હું તો આવું જ કરું છું ને આવું જ કરવાની છું જ્યાં સુધી સાચો સેવક નહિ આવે ત્યાં સુધી...અને તમે???

જય હો...NISHO