અમદાવાદ:-
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ કેર વર્તાવવાનું જારી રાખતાં વધુ બે લોકો તેના ખપ્પરમાં હોમાઇ ગયા છે. આ સાથે જ ૨૦૧૭ના વર્ષમાં સ્વાઇન ફ્લૂ કુલ ૪૧૮ લોકોને ભરખી ચૂક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સ્વાઇન ફ્લૂના વધુ ૭૩ દર્દીઓ નોંધાયા છે. આમ, સ્વાઇન ફ્લૂ પર અંકૂશ મેળવવામાં તંત્રને નિષ્ફળતા મળી છે.
સરકાર દ્વારા સત્તાવાર રીતે જારી કરવામાં આવેલા છેલ્લા પાંચ દિવસની જ વાત કરવામાં આવે તો સ્વાઇન ફ્લૂ દરરોજ બે લોકોને પોતાનો શિકાર બનાવે છે. ૨૦૧૭ના વર્ષમાં માત્ર ગુજરાતમાંથી ૬૮૭૯ લોકો સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી છેલ્લા ત્રણ દિવસની વાત કરવામાં આવે તો બુધવારે ૮૩, ગુરુવારે ૯૭ અને શુક્રવારે ૭૩ એમ કુલ ૨૫૩ લોકો સ્વાઇન ફ્લૂનો શિકાર બન્યા છે. બીજી તરફ સરકાર દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર ગત સપ્તાહની સરખામણીએ આ સપ્તાહે નવા કેસની સંખ્યામાં ૪૦%નો ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે સપ્તાહમાં ૨૦૮૩ જ્યારે અત્યારસુધી કુલ ૫૯૭૩ દર્દીઓ સ્વાઇન ફ્લૂને મા'ત આપેલી છે. શુક્રવારે રાજ્યના ૧૪ જિલ્લા, ૪ મહાનગર પાલિકામાં એકપણ કેસ નોંધાયો નહોતો જ્યારે ૧૧ જિલ્લામાં ૧-૧ કેસ નોંધાયા છે.
નિષ્ણાતોના મતે ગુજરાતના શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામીણ વિસ્તારમાં સ્વાઇન ફ્લૂથી થતાં મોતનું પ્રમાણ વધારે છે. શહેરમાં તાકીદે સારવારની સુવિધા હોવાથી મૃત્યુદરમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.
• Share •