Page Views: 16424

કચ્છમાં સ્વાઇન ફલૂથી વધુ ૨ મોતઃ કુલ મૃત્યુ આંક ૨૭

વધુ ૪ દર્દીઓના રિપોર્ટ પોઝીટીવઃ કુલ ૧૩૬ દર્દીઓ સારવારમાં

ભુજ:

                સ્વાઇન ફલૂએ મચાવેલો ફફડાટ કચ્છમાં હજીયે યથાવત રહ્યો છે. વધુ બે માનવ જિંદગીઓનો ભોગ લેતા સ્વાઇન ફલૂના ખપ્પરમાં અત્યાર સુધી કચ્છમાં ૨૭ માનવ જિંદગીઓ હોમાઇ ચૂકી છે.

                આદિપુરના ૪૨ વર્ષીય યુવાન અને ભચાઉના ૪૦ વર્ષીય યુવાને એમ બે યુવા જિંદગીઓ સ્વાઇન ફલૂને કારણે અકાળે મોતના મુખમાં ધકેલાઇ હતી. દરમિયાન વધુ ૪ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવતા સ્વાઇન ફલૂનો ખોફ બરકરાર રહ્યો છે. અત્યાર સુધી સ્વાઇન ફલૂના દર્દીઓનો આંક કચ્છમાં વધીને ૧૩૬ થયો છે.

                  છેલ્લા થોડા દિવસોથી સ્વાઇન ફલૂએ કચ્છમાં પોતાનો પંજો પ્રસરાવ્યો છે અને ફલૂના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. લોકોના આરોગ્યની સુખાકારી માટે કચ્છ વહિવટી તંત્ર અને આરોગ્ય તંત્ર પોતાની કામગીરી વધુ વેગવંતી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.