પટણા:-
બિહાર વિધાનસભામાં મુખ્યમંત્રી નીતીશ કુમારે બહુમતિ હાંસલ કરી લીધી છે. વિશ્વાસ મતમાં નીતીશના પક્ષમાં 131 મત પડ્યા જ્યારે વિરોધમાં 108 મત પડ્યા. જેડીયૂ-ભાજપ સંયુક્ત સરકારને વિશ્વાસનો મત જીતવા 122 વિધાનસભ્યોના ટેકાની જરૂર હતી.
વિશ્વાસ મતથી પહેલા તેજસ્વી યાદવ નીતીશ કુમાર પર મન મુકીને વરસ્યા હતા. જો કે, તેના જવાબમાં નીતીશ કુમારે કહ્યું કે આ કોંગ્રેસના લોકો છે અહંકારમાં જીવતા લોકો છે. નીતીશે કહ્યું કે કોંગ્રેસને 15થી વધારે બેઠકો મળે તેમ નહોતું પરંતુ અમે મહાગઠબંધનમાં 40 બેઠકો પર ચુંટણી લડવામાં મદદ કરી. વિશ્વાસ મતથી પહેલા આરજેડીના ધારાસભ્ય સતત ઉહાપોહ કરી રહ્યાં હતા અને વિધાનસભાની બહાર ધરણા પણ યોજ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે હુ આ પ્રસ્તાવના વિરોધમાં છું. રાજ્યની જનતાએ અમને બીજેપીના વિરોધમાં મત આપ્યા હતા. આ એક પ્રકારે લોકતંત્રની હત્યા છે. કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળે મળીને નીતીશ કુમારના અસ્તિત્વને બચાવ્યું હતું, નીતીશ કુમારે બિહારની જનતાના વિશ્વાસને દગો આપ્યો છે.
• Share •