નવી દિલ્લી :
રાજયના સુપ્રિમો અને પુર્વ રેલ્વે મંત્રી લાલુપ્રસાદ યાદવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. બેનામી સંપત્તિના મામલામાં ઘેરાયેલા લાલુ અને તેમના પરિવાર વિરૂધ્ધ આજે સીબીઆઇએ ભ્રષ્ટાચારનો એક નવો કેસ દાખલ કર્યો છે. લાલુ વિરૂધ્ધ આરોપ છે કે, તેમણે રેલ્વે મંત્રી તરીકે એક ખાનગી કંપનીને ફાયદો પહોંચાડયો હતો. સીબીઆઇએ તેમની પત્નિ અને પુત્ર સહિત ૮ લોકો ઉપર કેસ દાખલ કર્યો છે. આ બારામાં ૧ર જેટલી જગ્યાઓએ સીબીઆઇના દરોડા પડયા છે.
આ મામલો વર્ષ-ર૦૦૬નો છે. જયારે લાલુપ્રસાદ યાદવ રેલ્વે મંત્રી હતા. સીબીઆઇએ તેમની વિરૂધ્ધ રેલ્વે મંત્રી તરીકે ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવાનો આરોપ મુકતા કેસ નોંધ્યો છે. રાચી અને પુરીમાં હોટલોના વિકાસ, જાળવણી અને ઓપરેશન માટે ટેન્ડર આપવાના આ મામલામાં સીબીઆઇએ લાલુ પ્રસાદ અને તેમના પરિવાર સાથે જોડાયેલા ૧ર જેટલા સ્થળો પર દરોડા પાડયા છે. જેમાં દિલ્હી, ગુરૂગ્રામ, પટણા, રાચી અને પુરીનો સમાવેશ થાય છે. હાલ આ કાર્યવાહી ચાલુ છે.
સીબીઆઇએ જે લોકો વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે તેમાં લાલુ યાદવ ઉપરાંત તેમના પત્નિ રાબડી દેવી, તેમના પુત્રો, આઇઆરસીટીસીના એમ.ડી., બે પ્રાઇવેટ કંપનીઓના ડાયરેકટર, એક પ્રાઇવેટ માર્કેટીંગ કંપની અને કેટલાક અન્ય લોકોનો સમાવેશ થાય છે.આ પહેલા મે મહિનામાં પણ લાલુ યાદવના દિલ્હી અને ગુરૂગ્રામ સહિત રર જેટલા સ્થળોએ દરોડા પડયા હતા. જે ૧૦૦૦ કરોડની બેનામી સંપત્તિ અંગે હતા. હવે રેલ્વેની હોટલની ફાળવણીમાં ગોલમાલનો મુદ્દો બહાર આવ્યો છે. આરોપ છે કે ર૦૦૬માં તેમણે રેલ્વે મંત્રી તરીકે એક હોટલ ચેઇનને કથિત રીતે ફાયદો પહોંચાડયો જેના અવેજમાં હોટલ ચલાવનાર કંપનીએ તેમને પટણામાં કરોડોની જમીન આપી હતી. જેના ઉપર બિહારનો સૌથી મોટો મોલ બનાવવામાં આવી રહ્યો છે.
• Share •